ઉમેદવાર કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે તો મને જાણ કરોઃ સી.આર.પાટીલ

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (16:27 IST)
દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થતાં જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે સુરત ખાતે ડોક્ટર્સનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે આહ્વાન કર્યું હતું. પાટીલે કહ્યું હતું કે, તમામ ડોક્ટર્સના ફોનમાં ત્રણ હજારથી વધુ સંપર્કો હોય છે. આ તમામ લોકોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરો. તેમને એવું કહો કે ઉમેદવારને ભુલી જાઓ તમારે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે.જો કોઈ ઉમેદવાર યોગ્ય કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે તો મને જાણ કરજો. હું તમારા વતી આ વાત વડાપ્રધાન મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશ.
 
લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખ ખુદ મેદાનમાં ઉતર્યા
સુરતમાં ગઈકાલે સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડોક્ટરોનું સ્નેહમિલન યોજાયું હતું. ડોક્ટરો સાથેના સંવાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર સામે તમને વાંધો હોય તો પણ તમારે મોદી સાહેબને જોઈને મત આપવો. રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખ ખુદ મેદાનમાં ઉતર્યા છે. આંતરિક વધતા વિવાદ અને ઉમેદવારો સામે નારાજગીને લઇ ખુદ સીઆર પાટીલ ચોકી ઉઠ્યા છે. જેને લઇને હવે તેમણે પ્રચારમાં સ્થાનિક ઉમેદવાર નહી પરંતુ પ્રધાનમંત્રી મોદીને મત આપવાનો છે તેમ કહી પ્રચારની રણનીતી અપનાવી છે. 
 
અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર સાર્થક કરવાનું છે
કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યુ હતુ કે, અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર સાર્થક કરવાનું છે.લોકસભા ચૂંટણી 2024 જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે રાજ્યની 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યુ છે અને ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. સુત્રોની વાત માનીએ તો સીએમ હાઇકમાન્ડ સાથે બેઠક કરી શકે છે. અને ગુજરાતની રાજકીય સ્થિતીથી વાકેફ કરશે.

સંબંધિત સમાચાર

Next Article