ચાંગોદરમાં નેપાળી યુવકને ચોર સમજીને લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો

Webdunia
સોમવાર, 20 માર્ચ 2023 (17:35 IST)
પોલીસે આ ઘટનામાં 10 લોકોની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે
યુવકને લોકો દંડા ફટકારતા હતાં ત્યાં અન્ય લોકો વીડિયો ઉતારવાનો આનંદ માણતા હતાં
 
અમદાવાદમાં લૂંટ, ચોરી અને ધાડના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ચાંગોદરમાં એક નેપાળી યુવકને ચોર સમજીને લોકોએ થાંભલે બાંધીને ક્રુરતા પૂર્વક માર માર્યો હતો. આ યુવકને એટલી હદે લોકોએ માર્યો હતો કે તેનું મોત નિપજ્યું હતું. બીજી બાજુ ત્યાં ભેગા થયેલા લોકોએ યુવકને છોડાવવાની જગ્યાએ તેને માર પડતો હતો તેનો વીડિયો ઉતારીને આનંદ માણ્યો હતો. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને 10 લોકોની ધરપકડ કરી લીધી છે. 
 
ટુંક સમયમાં તમામ લોકોની સામે કાર્યવાહી થશે
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાંગોદરમાં યુવકના મોતને લઈને હાલ 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજી પણ આ ગુનામાં સંડોવાયેલા બીજા લોકોની શોધખોળ કરી રહી છે. ટુંક સમયમાં તમામ લોકોની સામે કાર્યવાહી હાથ ધરાશે. 
 
લોકોના મારથી એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો
મૃતક ચાંગોદર પાસે એક જગ્યાએ ઉભો હતો ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે આ કોઈ ચોર છે. ત્યારે કંઈપણ વિચાર્યા વિના લોકો લાકડીઓ લઈને તેની પર તૂટી પડ્યા હતાં. લોકોના મારથી એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. 
 
સાણંદના તેલાવમાં પણ આવો બનાવ સામે આવ્યો હતો
તાજેતરમાં જ તેલાવમાં એક યુવકને ચોરી કરવાની બાબતે થાંભલે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. પરંતુ ચાંગોદરની ઘટના બાદ તેલાવની ઘટનામાં પણ હવે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article