ઉત્તર પ્રદેશમાં ગુજરાત જેવી દુર્ઘટના, ફેકટરીમાં આગ લાગતાં 12નાં મૃત્યુ

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (10:12 IST)
એનડીટીવીના અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 12 લોકોનાં મોત થયાં છે. ફાયર ટેન્ડરોને ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.
 
વિસ્ફોટની અસર એટલી તીવ્ર હતી કે આસપાસમાં આવેલી કેટલીક ફેક્ટરીઓની છતને નુકસાન થયું હતું.
 
પોલીસ પ્રવક્તા સુરેન્દ્રસિંહે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, નવી દિલ્હીથી લગભગ 60 કિલોમીટર દૂર ધૌલાનામાં એક ઔદ્યોગિક એકમમાં બોઇલર ફાટતાં આ અકસ્માત થયો હતો.
 
આ ફેક્ટરી સીએનજી પંપની બાજુમાં આવેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થળ પર બચાવ અને રાહતનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
 
હાપુરના પોલીસ અધિક્ષક દીપક ભુકરે જણાવ્યું કે 12 લોકોનાં મોત થયાં છે અને 21 લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
 
હાપુરના કલેક્ટર મેધા રૂપમે કહ્યું, "ફેક્ટરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અહીં ખરેખર શું બની રહ્યું હતું તે તપાસનો વિષય છે. આ એક દુખદ ઘટના છે. ફોરેન્સિક ટીમો અહીં પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરી રહી છે."
 
તેમણે ઉમેર્યું, "કેટલાક ઘાયલોને સફદરજંગ હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
 
મોદીએ ટ્વીટ કર્યું, "અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર ઘાયલોને સારવાર અને તમામ શક્ય મદદ પૂરી પાડવા સક્રિયપણે સામેલ છે."
 
મુખ્ય મંત્રીએ આ ઘટનાની તપાસના આદેશો જારી કર્યા છે.

સંબંધિત સમાચાર

Next Article