હળવદના કારખાનામાં દીવાલ પડતાં 12નાં મૃત્યુ, પીએમે શોક વ્યક્ત કર્યો, સીએમ હળવદ જવા રવાના

Webdunia
બુધવાર, 18 મે 2022 (15:38 IST)
Photo ANI


આ ઘટનાની ગંભીરતા જોતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે અને તેઓ હળવદ જવા માટે રવાના થઈ ગયા છે.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ટ્વિટર પર લખ્યું, "મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."

તો મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો વડા પ્રધાનરાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરીને આ જાહેરાત કરાઈ છે.

ભારતના ગૃહમંત્રી અમીત શાહે પણ હળવદની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે "12 લોકોનાં મૃત્યુ ખૂબ જ દુખદ છે. મેં મુખ્ય મંત્રીજી સાથે વાત કરી છે. વહીવટી તંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી તેમની સારવારમાં કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. "

આ ઘટના અંગે ભાજપના પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ જયંતી કાવડિયાએ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ફેસબુક પર લખ્યું, "હળવદ GIDCમાં દુર્ઘટના સમાચાર જાણી મારા તમામ કાર્યક્રમ અધૂરા મૂકી હું હળવદ તથા સિવિલ હૉસ્પિટલની મુલાકાતે જઈ રહ્યો છું."

"મે સમગ્ર ઘટનાની જાણ મુખ્ય મંત્રીના કાર્યાલયને કરી છે. સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે તમામ મદદ કરવા મુખ્ય મંત્રી કાર્યલાય તરફથી આદેશો આપ્યા છે."

ગુજરાતના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આ મામલે સરકાર મૃતકોનોના પરિવાર સાથે ઊભી હોવાનું આશ્વાસન આપ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article