Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ખીણ ફરી એકવાર શોક અને ગુસ્સાના વાતાવરણમાં ડૂબી ગઈ છે. 26 નિર્દોષ લોકોનો જીવ લેનાર આ ક્રૂર હુમલાએ માત્ર પ્રવાસીઓની સુરક્ષા પર જ સવાલો ઉભા કર્યા નથી પરંતુ કાશ્મીરની સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને પણ ઠપ્પ કરવાની ફરજ પડી છે. હુમલાના વિરોધમાં સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક બંધ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.
હુમલા સામે રોષ વ્યક્ત કરતા જમ્મુના વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. ડોડા, કિશ્તવાડ, રિયાસી અને રામબન જેવા વિસ્તારોમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આતંકવાદી હુમલાને કારણે જમ્મુ યુનિવર્સિટીએ પણ આજના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પુસ્તકાલય અને અન્ય સેવાઓ બંધ રહેશે. જો કે, પૂર્વ નિર્ધારિત પરીક્ષાઓ લેવામાં આવશે.