હરિધામ સોખડા વિવાદઃ સુરતના સેવકનો ઘટસ્ફોટ સરલજીવનસ્વામીએ મારી સાથે અનેકવાર અપ્રાકૃતિક સેક્સ કર્યું’

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (12:30 IST)
હરિધામ સોખડામાં 8 મહિનાથી ચાલી રહેલા ગાદીના વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે. પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સુરતના સેવકે શુક્રવારે તાલુકા પોલીસ સમક્ષ નિવેદનમાં ધડાકો કર્યો હતો કે,પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સરલજીવનસ્વામીએ અનેક વખત મારી સાથે અપ્રાકૃતિક સેક્સ સંબંધ બાંધી જાતીય સતામણી કરી છે તેમજ અન્ય યુવકોને પણ હવસનો શિકાર બનાવ્યાનો દાવો કરી કાયર્વાહી કરવાની માગ કરી છે.

સુરતના સેવકે તાલુકા પોલીસમાં 31 માર્ચે કરેલી અરજી કરી હતી કે, તે 22 જુલાઈ, 2013થી હરિધામ આશ્રમ ટ્રસ્ટમાં સેવક તરીકે કામ કરતો હતો. પ્રેમસ્વરૂપસ્વામી, જ્ઞાનસ્વરૂપસ્વામી, સાધુ સરલજીવનસ્વામી, ત્યાગવલ્લભસ્વામી અને હરિધામના સચિવ જયંત દવેની પ્રવૃત્તિનો વિરોધ કરતાં મને માર્ચ-2022ના રોજ કાઢી મૂક્યો હતો. મારો પાસપોર્ટ ત્યાગ વલ્લભ સ્વામીએ લઇ લીધો છે. ત્યાર બાદ આસોજના પ્રણય, સોખડાના બંટી, શ્રેયસ, પિન્ટુ અને અન્યે મારા પર હુમલો કર્યો હતો.યુવકે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કામરેજની જ એક મહિલા સાથે સાધુ સરલજીવન સ્વામીનું અફેર ચાલતું હતું. જે સંબંધો વિશે હું જાણી જતાં તેઓએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ સરલ જીવન સ્વામીએ તેની ઈચ્છા વિરુદ્ધ અનેક વખત અપ્રાકૃતિક સેક્સ માટે ફરજ પાડી જાતીય સતામણી અને શોષણ કર્યું હોવાનો અરજી બાદ નિવેદનમાં પણ ઘટસ્ફોટ કર્યો છે.

યુવકે કામરેજના અન્ય યુવક સાથે પણ અનેક વખત સાધુ સરલ જીવન સ્વામીએ ફિઝિકલ રિલેશનશિપ બાંધ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ યુવકને સંતોને માલીશ કરવાની અને નવડાવવાની કામગીરી સોંપાઇ હતી.અન્ય યુવકે પણ જિલ્લા પોલીસને અરજી કરીને તેને પણ પ્રેમસ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, સરલજીવનસ્વામી અને ત્યાગસ્વામીની પ્રવૃત્તિનો વિરોધ કરતાં તેને પણ માર મારી તેનો પાસપોર્ટ જપ્ત કરીને હરિધામમાંથી કાઢી મૂકયાનો આક્ષેપ કર્યો છે. અરજી બાદ બંને યુવકોને શુક્રવારે તાલુકા પોલીસે નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. બંને યુવકોને સરલ સ્વામીએ જાતીય શોષણ કર્યાનું જણાવી ધમકી તેમજ ત્રાસ અપાતો હોવાનું કહ્યું હતું. આ અંગે સરલ જીવન સ્વામી સહિતના સંતોનો રૂબરૂ અને મોબાઇલ પર સંપર્ક કરતા થઇ શકયો ન હતો.પીએસઆઇ વિરમ લાંબરિયાએ કહ્યું હતું કે, સુરતના બંને યુવકોને નિવેદન આપવા શુક્રવારે બોલાવ્યા હતા, જેમાં બંનેએ જણાવ્યું હતું કે, સરલજીવનસ્વામીએ તેમની જાતીય સતામણી કરી હોવાનું અને અનેક છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું તેણે જોયું હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article