6 મનપામાં ધીમું મતદાન, ભાજપમાં અંદરો અંદર ભય, વધુમાં વધુ મતદાન કરાવવા પ્રદેશ નેતાઓને અમિત શાહની સૂચના

Webdunia
રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (16:09 IST)
રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે. ખાસ કરીને ભાજપના સંગઠનના ચાણક્ય એવા અમિત શાહ પણ અમદાવાદ આવેલા છે, ત્યારે શાહે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કરી રહ્યા છે. ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય સાથે સાથે રસાકસી થઈ શકે છે. જેને કારણે ભાજપને હારનો સામનો પણ કરવો પડી શકે છે. અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા હતા. તેમણે નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક સુરક્ષા એજન્સીઓ અમિત શાહની સુરક્ષાના બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. મતદાન કરવા માટે આવનારા મતદારોને મેટલ ડિટેક્ટરમાં પસાર કરીને જ મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article