ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાં બેફામ ગાળો બોલતા વિવાદ

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (18:14 IST)
ભરૂચના સાંસદ પોતાનાં નિવેદનોને લઈ અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે. ત્યારે આજે વધુ એકવાર ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાં બેફામ ગાળો કાઢી વિવાદમાં આવ્યા છે. કરજણ તાલુકામાં રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત નીપજ્યા બાદ આજે ભરૂચના સાંસદ અને કરજણના પૂર્વ ધારાસભ્ય બનાવ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં સાંસદ આવ્યા હોવાની જાણ થતાં કરજણ મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આ સમયે સાંસદે અધિકારીઓનો જાહેરમાં ઊધડો લઈ બેફામો ગાળો ભાંડી હતી.
 
બે દિવસ પહેલા ડમ્પરે ત્રણ લોકોને અડફેટે લેતા મોત થયા હતા
 
બે દિવસ પહેલા કરજણના માલોદ ગામ નજીક ડમ્પરની ટક્કરે ભરૂચના ઝનોર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક આગેવાનોની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. આ વિસ્તારમાં રેત માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા.
 
બધાના ધંધા મને ખબર છે - મનસુખ વસાવા
 
સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદાર સહિતના અધિકારીઓને ખનીજચોરી કરતાં ડમ્પરો બંધ કરાવવા કહ્યું હતું, સાથે અધિકારીઓને કહ્યું હતું કે બહુ હોશિયારી નહીં મારવાની, તમારા બધા ધંધાની મને ખબર છે. ત્યાર બાદ સાંસદે બેફામ ગાળો ભાંડી હતી, જે અહીં લખી શકાય તેમ નથી. 

સંબંધિત સમાચાર

Next Article