Cyclone Michaung : વાવાઝોડાને કારણે ચેન્નઈ જળબંબાકાર, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા, ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે?

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (09:47 IST)
મિગજોમ વાવાઝોડું મંગળવારના આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચેથી પસાર થશે.
 
હવામાનવિભાગની માહિતી અનુસાર, ગંભીર ચક્રવાત મિગજોમ ચેન્નઈથી 130 કિલોમીટર ઉત્તરમાં છે. વાવાઝોડું દક્ષિણ આંધ્ર તટના સમાનાંતર વધશે અને પાંચ ડિસેમ્બર એટલે મંગળવારની સવારે એક ગંભીર ચક્રવાતી તોફાન નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે.
 
વાવાઝોડાને કારણે ચેન્નઈમાં ભયંકર વરસાદ પડી રહ્યો છે. અત્યારસુધી ભારે વરસાદ અને તેને કારણે બનેલી સ્થિતિને કારણે તામિલનાડુની રાજધાનીમાં પાંચ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
Photo Courtesy: Twitter
પોલીસના જણાવ્યા અનુસાર જે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે તેમાં બેનાં મૃત્યુ વીજળીનો શૉક લાગવાને કારણે અને એકનું મૃત્યુ વૃક્ષ પડી જવાને કારણે થયું છે. અન્ય બેનાં મૃત્યુનાં કારણો વિશે ખબર પડી શકી નથી. જે પ્રકારની પરિસ્થિતિ છે તેનું અનુમાન લગાવતા તામિલનાડુ સરકારે ચાર જિલ્લાઓ- ચેન્નઈ, તિરુવલ્લૂર, કાંચીપૂરમ અને ચેંગલપટ્ટૂમાં રજાની ઘોષણા કરી છે.
 
રાજ્યની તમામ ટનલોને બંધ કરી દેવામાં આવી છે કારણકે તે પૈકીની મોટાભાગની ટનલો પાણીથી ભરાઈ ગઈ છે. હવામાનવિભાગ અનુસાર દરિયાકાંઠે 90-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. 
 
આંધ્ર પ્રદેશમાં કેટલીક જગ્યાઓએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થવાની આશંકા છે.
મિગજોમ વાવાઝોડાની અસર
મિગજોમ વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં માર્ગ પર પાણી ભરાઈ ગયું છે. ચેન્નઈમાં ઠેર-ઠેર વૃક્ષો પડી જવાની ઘટના બની છે.  રાજ્યમાં પાંચનાં મૃત્યુ નોંધાયાં છે. વરસાદને કારણે ચેન્નઈના ઍરપૉર્ટ પર પણ પાણી ફરી વળ્યાં છે અને તેને જોતાં તમામ ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે. ઍરપૉર્ટ પ્રશાસને સોમવારે જ મોડી રાત્રે તમામ ફ્લાઇટ્સને રદ કરી દીધી હતી અને તેને કારણે લગભગ 150 જેટલી ફ્લાઇટ્સ સેવાઓ પર તેની અસર થઈ છે.
 
ગુજરાતનું હવામાન કેવું રહેશે
હવામાન વિભાગ અનુસાર મિગજોમ વાવાઝોડાને પગલે પવનની દિશા બદલાતા ફરી વાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે.
રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેમ કે, મિગજોમ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે. જેના પગલે હવે ગુજરાત પર પણ સામાન્ય અસર જોવા મળશે. મિગજોમ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાતા ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જેમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે મંગળવાર તેમજ બુધવારે પણ અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ આવી જ અસર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડની અસર દેખાશે.
 
ગુજરાતમાં વરસાદની આગાહી
 
હવામાનવિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાનવિભાગની આગાહી અનુસાર સુરત, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં હળવા વરસાદની આગાહી છે.
 
સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે.
 
આજે દાહોદ, સુરત, મહિસાગર અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
બીજી તરફ આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવના છે.
 
વધુમાં આજે મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નર્મદા, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રાજ્યમાં માવઠાનો વધુ એક એટલે કે ત્રીજો રાઉન્ડ જોવા મળી શકે છે.
 
મિગજોમ વાવાઝોડું નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે લૅન્ડફૉલ થવાની શક્યતા છે.
 
આંધ્રપ્રદેશમાં જિલ્લા અધિકારીઓ હાઈ-ઍલર્ટ પર છે કારણ કે ચક્રવાત મિગજોમ નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે લૅન્ડફોલ થવાની શક્યતા છે. જેના પગલે સમગ્ર પ્રદેશમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article