આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહી પરંતુ ચોમાસાનુ આગમન જલ્દી થવાની શક્યતા

મંગળવાર, 17 મે 2022 (13:42 IST)
ઉનાળામાં આ વખતે ગરમીએ ત્રાહી ત્રાહી કરી નાખ્યુ છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો 45 પર પહોંચી જતા લોકો ત્રાહિ મામ પોકારી ઊઠ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં બીમારીના કેસ વધવા માંડ્યા છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. તેથી હાલ બપોરના સમયે કારણ વગર બહાર ન નીકળવામાં જ સમજદારી છે. બીજી તરફ, કાળઝાળ ગરમીમાંથી હવે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વખતે સામાન્યથી વહેલું એટલે કે 10 જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઇ જાય એવી શક્યતાઓ છે.
 
નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર