અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા 150 લોકોના આઈફોન ચોરાયા

બુધવાર, 5 એપ્રિલ 2023 (12:57 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે યોજાયેલી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટી20 મેચ દરમિયાન 150 જેટલા ફોન ચોરાયાની ફરિયાદ પોલીસને મળી છે. ઘણાએ તો પોતાના આઈ ફોન હપ્તાથી લીધા હતા.

આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ની શરૂઆત ગત 31મી માર્ચે શુક્રવારે થઈ હતી. જેમાં રશ્મીકા મંદનાથી લઈ અરિજીત સિંગ સહિત ઘણા જાણીતા કલાકારોએ ઓપનીંગ સેરેમનીમાં પર્ફોમન્સ પણ આપ્યું હતું. આ દિવસે સ્ટેડિયમ લગભગ ખીચોખીચ ભરાઈ ગયું હતું પરંતુ અહીં ન માત્ર ચાહકો પણ મોબાઈલ ચોરો પણ આવી પહોંચ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર ફોન ચોરીની આ ઘટનાઓમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આ લોકો જ્યારે પ્રેક્ષકો ફોનથી ફોટો પડાવતા હોય કે કોઈ કારણસર ફોન ખીસ્સામાંથી બહાર કાઢે ત્યારે ધ્યાન રાખતા હોય છે અને તક મળતા જ ફોન સેરવી લેતા હોય છે.

મોટી સંખ્યામાં ફોન ચોરાતા ફાઈન્ડ માય ફોન દ્વારા કેવી રીતે ફોનનું લોકેશન મેળવવું તે માટે ગ્રાહકોનો નવરંગપુરા અને શાસ્ત્રીનગરમાં આવેલી એપલ સ્ટોર્સ પર ધસારો હતો.પોલીસનું કહેવું છે કે આ ભેજાબાજો ફોન ખોવાઈ જાય પછી પણ ચાલાકી કરતા હોય છે. જો કોઈ રીતે ફોન ખોવાયા કે ચોરાયા પછી ફાઈન્ડ માય ફોનની સીધી લીંક ફોન પર આવી જાય તો તેા પર ક્લીક ભુલથી પણ કરવી નહીં, કારણ કે તેનાથી ફોન લોકના પાસવર્ડ તેમના સુધી પહોંચી જવાની સંપૂર્ણ શક્યતાઓ છે. આમ આ પ્રકારની બોગસ લીંકથી પણ બાદમાં સચેત રહેવું જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર