ભાવનગર યુનિવર્સિટી પેપરલિક કેસ, ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગોલાણીની પ્રાધ્યાપક તરીકેની માન્યતા રદ

મંગળવાર, 4 એપ્રિલ 2023 (16:39 IST)
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે પેપરલિક થયું હોવાનો દાવો કર્યો હતો
જે કર્મચારીની નામજોગ માહિતી પોલીસ પાસેથી સામે આવી છે તેની સામે ફરિયાદ કરાશે
 
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટનું પેપર લીક થયું હતું. જે મામલે પોલીસ ફરિયાદ કરવા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે બંધ બારણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત પેપરલિક કાંડમાં જવાબદારો સામે પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય તેવું સુત્રો જણાવી રહ્યાં છે. આ નિર્ણય યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. 
 
યુનિવર્સિટીના સત્તાધિશોએ કાર્યવાહી કરવા નિર્ણય કર્યો
યુનિવર્સિટીના સત્તાધિશોની બેઠકમાં પરીક્ષા નિયામક, નિમણૂક કરાયેલા કમિટી સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહી આગામી ફરિયાદ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, યુનિવર્સિટીના કાર્યાલય ખાતે વાઈસ ચાન્સેલર એમએમ ત્રિવેદીની ઓફિસમાં મીટીંગ યોજી આગળની કાર્યવાહી શું કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ મામલે પેપર લીક થયાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ એ જણાવ્યું હતું કે, કોમર્સ કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ અમીત ગલાણીએ મને પાણીની ટાંકીએ આવીને રૂબરૂ વાત કરી અને સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું. આ ફોટો પાડેલો છે તે મારા મોબાઈલનો છે અને આ કોઈ વિદ્યાર્થીએ મારા મોબાઈલનો ફોટો પાડી વાયરલ કર્યો છે.
 
પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય કરાશે
વાઈલ ચાન્સલર એમ.એમ. ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, કમિટીએ રિપોર્ટ સબમીટ કર્યો છે. જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કર્યું છે. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળશે કે કેટલા વિદ્યાર્થીઓ અસરકર્તા છે તેના આધારે પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. કાકરીયા કોમર્સ કોલેજ છે તેની માન્યતા રદ કરવા માટે સર્વોચ્ચ સત્તા મડળને ભલામણ કરી છે. અત્યારે જે કર્મચારીની નામજોગ માહિતી પોલીસ પાસેથી સામે આવી છે તેની સામે ફરિયાદ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર