કે.જી થી ધોરણ - 8 સુધીના બાળકોની સ્કૂલ બેગનું વજન ઓછું કરવા ઓલ ગુજરાત વાલી મંડળની શિક્ષણમંત્રીને રજૂઆત

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (17:29 IST)
રાજય સરકાર દ્વારા સ્કૂલોમાં ભાર વિનાનું ભણતર આપવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે શિક્ષણ વિભાગનો ઠરાવ હોવા છતાં ઘણી ખરી સ્કૂલોમાં નિયમોનો ઉલાળિયો કરીને ભાર વિનાના ભણતરનો છેદ ઉડાવી દેવાયો છે. જેનાં પગલે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરાઈ છે કે કે.જી થી ધોરણ - 8 સુધીના સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનો ભાર નિયમ મુજબ ઓછો કરાવવામાં આવે. વર્ષ 2020માં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે બાળકોની સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં 10 ટકા જ હોવું જોઇએ. જોકે, આ પ્રસ્તાવ માત્ર કાગળ પર જ રહ્યો છે અને સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઇએ તેના અંગે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા ઘડાઇ નથી. બીજી તરફ કુમળી વયના બાળકોને તેમના વજન કરતાં વધારે વજન વાળી સ્કૂલ બેગ ઊંચકવાની નોબત આવતાં લાંબા ગાળે કરોડરજ્જુ ઉપર સીધી અસર પડે છે.જેનાં કારણે બાળકો કરોડરજ્જૂની સ્કોલિયોસિસની સમસ્યાનો ભોગ બનતા હોય છે. સ્કોલિયોસિસમાં બાળકની કરોડરજ્જૂનો ભાગ સાધારણ વળી જાય છે. અપ્રમાણસર ખભા, અપ્રમાણસર કમર, કેડના સાંધાનો ભાગ ઉપર-નીચે જેવા તેના લક્ષણો છે. જેનાં પગલે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરને રજૂઆત કરાઈ છે કે, કે.જી થી ધોરણ - 8 સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ સ્કૂલે લઈ જાય એવો વર્ષ - 2023 નો ઠરાવ કરવામાં આવે. વાલી મંડળ ને ધ્યાને આવ્યું છે કે, સ્કૂલ સંચાલકો નિયમ વિરુદ્ધ બાળકો પાસે ક્ષમતા કરતા વધુ વજન વાળી બેગ મંગાવી રહ્યા છે. વધુ પડતાં સ્કૂલ બેગનાં બાળકને શારીરિક માનસિક સમસ્યા થતી હોય છે. જેથી તાત્કાલિક ધોરણે રાજયની તમામ સ્કૂલોને પરિપત્ર મુજબ સ્કૂલ બેગનાં વજનની અમલવારી કરાવવામાં આવે તેવી રજૂઆત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર