22 ડિસેમ્બરે મુખ્યમંત્રી લોકોનો રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’કાર્યક્રમ યોજાશે

બુધવાર, 21 ડિસેમ્બર 2022 (09:22 IST)
ગુજરાતમાં ભાજપને બહુમત મળતાં જ નવી સરકારે શપથવિધી બાદ તરત જ કામ કાજ શરૂ કરી દીધું હતું. આજે વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાયું હતું. જેમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે સુધારા ઈમ્પેક્ટ બિલ રજુ કર્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આગામી 22 ડિસેમ્બરે ગાંધીનગરમાં ગુજરાતની પ્રજાની રજૂઆતો સાંભળશે. નવી સરકાર બન્યા પછી આ પ્રથમ સ્વાગત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગળ ધપાવી છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે 22 મી ડિસેમ્બરે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે સુધારા ઈમ્પેક્ટ બિલ રજુ કર્યું હતું. તે ઉપરાંત વિપક્ષે સત્રના પહેલાં જ દિવસે હોબાળો કર્યો હતો. અધ્યક્ષના નિર્ણયને લઈને વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાનું નિવેદન કહ્યું ગેરકાયદેર બાંધકામો હવે આગળ ન બને તેની બીલમાં જોગવાઈની જરૂર હતી, બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટેનું આ બિલ છે.વિપક્ષના સભ્યોએ ચર્ચા કરવા ત્રણ દિવસની માંગ કરી હતી. ત્યારે અધ્યક્ષે આજના દિવસે ચર્ચા કરવાનું સૂચન કર્યું હતું. અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસના સભ્યો નારાજ થયા હતાં અને સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસના 17 ધારાસભ્યો ગૃહ છોડીને બહાર નીકળી ગયા હતાં. વિપક્ષના સભ્યોએ અધ્યક્ષના નિર્ણય પર નારાજગી દર્શાવી હતી. વિપક્ષે પહેલા જ દિવસે ગૃહમાં હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, અધ્યક્ષની વરણી પ્રક્રિયાથી વિપક્ષ અજાણ છે. વિપક્ષને આ અંગે પૂછવામાં નહીં આવતાં સંસદિય પરંપરા તૂટી છે.  અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગૃહ હંમેશા નિયમોથી જ ચાલે છે. રાજ્યપાલનો આભાર પ્રસ્તાવ આજે જ પૂર્ણ કરવો તે શક્ય નથી. 3 દિવસની ચર્ચા માટે વિધાનસભામાં જોગવાઈ છે.જે લંબાવવામાં આવતી નથી. અમે અધ્યક્ષ અને રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરીશું. સભા પહેલા કામકાજ સમિતી મળતી હોય છે. અત્યાર સુધી બિઝનેસ કમિટીની પણ રચના કરવામાં આવી નથી. તમામ નિયમોના ઉલ્લંઘન કર્યાં છે. રાજ્યપાલના પ્રવચનની નકલ પણ અમારા ટેબલ પર મળી નથી. શૈલેષ પરમારે કહ્યું હતું કે, કોંગ્રેસનું મનોબળ તૂટ્યુ નથી અમારી પાસે 17 ધારાસભ્યો છે અમે મુદ્દાઓને લઈને લડતાં રહીશું. બીજી તરફ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ શૈલેષ પરમાર પર પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ હજી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી.  અર્જુન મોઢવાડિયાએ પણ જીતુ વાઘાણીને જવાબ આપ્યો હતો કે ભૂતકાળમાં ભાજપના પણ માત્ર 14 સભ્યો જ હતાં. અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતાં અને ગૃહનું લાઈવ પ્રસારણ કરવાની માંગ કરી હતી. અપક્ષ જીતેલા ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો અને તેઓ રાજ્યપાલને પણ મળ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર