આશીર્વાદ રૂપ ઔષધીય રોપ ઉછેરની આગવી પહેલ...લોકોમાં ડિમાન્ડ વધી

મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (09:50 IST)
સામાજિક વનીકરણ વિભાગ હેઠળ વડોદરા શહેરના સયાજીબાગ પાછળની જગ્યામાં એક અને પોર તેમજ ફાજલપુરમાં બે મળીને કુલ ત્રણ નર્સરીઓ એટલે કે રોપ ઉછેર કેન્દ્રો છે જ્યાં લગભગ બારેમાસ અવિરત રોપા ઉછેરનું કામ ચાલે છે. આશીર્વાદ રૂપ ઔષધીય વનસ્પતિઓ અંગે સમાજમાં જાગૃતિ  અને તેના રોપાની લોકમાંગ વધી છે.
 
તેને અનુલક્ષીને અમે પહેલીવાર તુલસીના રોપા ઉછેરવાનું આયોજન કર્યું છે તેવી જાણકારી આપતાં પરીક્ષેત્ર વન અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે તુલસી ઔષધીય વનસ્પતિ છે અને એના રોપાંની માંગ ઘણી છે.તેને અનુલક્ષીને અમારી નર્સરીઓ માં શંકુ આકારના પ્લાસ્ટિકના રુટ ટ્રેનરમાં ૨ લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન કર્યું છે.
 
યાદ રહે કે ઉપર જણાવેલી નર્સરીઓ માં વિવિધ પ્રકારના છોડ ઉછેરવાની કામગીરી લગભગ બારેમાસ સતત ચાલતી રહે છે.મનરેગા અને ખાતાકીય યોજનાઓ હેઠળ આ રોપ ઉછેરની આ કામગીરી શ્રમજીવીઓ ને રોજગારી પણ આપે છે તો બીજી તરફ ખાતાકીય વાવેતર અને લોક માંગ પ્રમાણે છોડ ઉપલબ્ધ કરાવે છે.
 
ખેડૂતો ઉત્તમ પ્રકારની નીલગીરીના વાવેતર થી પૂરક આવક મેળવે એવા આશય થી ગયા વર્ષે વિભાગે ૧૩ હજાર જેટલા કલોનલ નીલગીરી રોપાનું ખેડૂતોને જોગવાઈઓ ને આધીન વિતરણ કર્યું હતું. રાજપૂત જણાવે છે કે ગ્રામ વિસ્તારમાં મોટેભાગે ખેતરના પાળા શેઢા પર ઉછેરી શકાય એવી વનસ્પતિઓની માંગ વધુ છે તો શહેરી વિસ્તારમાં આંગણ અને છત ઉદ્યાન - home and terrace gardenને અનુકૂળ ફૂલ,ફળ અને સુશોભન વૃક્ષ પ્રજાતિઓના રોપાની માંગ હોય છે.તેને ધ્યાનમાં રાખીને બંને પ્રકારનો રોપ ઉછેર વન વિભાગ કરે છે.
 
થોડા સમય પહેલા જોખમ હેઠળની વનસ્પતિઓ ને સાચવવા બાઓબાબ - રુખડો,અંકોલ અને રાવણતાડ ના રોપાં એક પ્રયોગ તરીકે ઉછેરવામાં સફળતા મળી હતી.તત્કાલીન નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા ની પ્રેરણા થી તે સમયના પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવે અને નર્સરીની ટીમે આ પ્રયોગ કર્યો હતો. આમ,સામાજિક વનીકરણ વિભાગ વડોદરા હેઠળની નર્સરીઓ રોપા ઉછેરી પર્યાવરણને નવું જીવન આપવાની ઉપયોગી પ્રવૃત્તિ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર