રાપરમાં નિકળી દેશની સૌથી લાંબી અંતિમયાત્રા, આખરે મૃતકની પત્નીએ સ્વિકાર્યો મૃતદેહ

બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (13:46 IST)
રાપરના વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાનો મામલો દિવસેને દિવસેવધુને વધુ ગરમાઇ રહ્યો છે. મૃતકની પત્નીએ કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ નહી ઝડપાય ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવામાં નહી આવે. સાથે જ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે પાંચ દિવસની તપાસ બાદ એફઆઇઆરમાં દર્શાવેલા 9 ઉપરાંત મુખ્ય આરોપીઓને નાસી જવામાં મદદ કરનારા બે વધુ આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ મંગળવારે મૃતદેહનો સ્વીકાર કરાતા ‘જય ભીમ’ ના નારા સાથે જનમેદની વચ્ચે એમ્બ્યુલન્સમાં તે રખાયો હતો અને ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફન વિધિ માટે પહોંચી હતી. 
આ અંતિમયાત્રાએ 240 કિલોમીટર લાંબુ અંતર કાપ્યું હતું. જોકે આ અંતિમયાત્રાને દેશની સૌથી લાંબી યાત્રા કહી શકાય. આ અંતિમ દરમિયાન રસ્તામાં વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. લોકોએ પુષ્પાંજલી અર્પીને ‘જય ભીમ, દેવજીભાઈ અમર રહો’ ના નારા લગાવ્યા હતા. લોકો મોટી સંખ્યામાં રોડની બન્ને તરફ જોવા મળ્યા હતા.
 
શું હતી ઘટના
કચ્છના રાપરમાં  ગત સમી સાંજે અગ્રણી વકીલ પર છરીથી હુમલો હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.વકીલ દેવજીભાઈ ભાજપના કાર્યાલય બહાર આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે છરી વડે ઉપરાછાપરી ઘા કરતા વકીલ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.ઈજાગ્રસ્ત દેવજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.
 
મૃતકના પત્ની દ્વારા 9 આરોપીઓના નામ જોગ હત્યા અને તે માટેના ષડયંત્રની ફરિયાદ નોંધાવ્યા બાદ હત્યા કરતા રંગે હાથ સીસીટીવીમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સહિત 6ની અને ત્યારબાદ વધારાના એક મદદરૂપ થનારા આરોપીની પણ અટક કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર