કૌશલ સંસ્થાનના માધ્યમથી યુવાનો નોકરી લેનાર જ નહીં નોકરી આપનાર પણ બનશે : અમિત શાહ

ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (10:49 IST)
યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો આવનારા દિવસોમાં રોજગાર નિર્માણના રાજમાર્ગ બનશે.  ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં ર૦ એકર જમીનમાં નિર્માણ પામનારા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સના ભૂમિપૂજન અવસરે ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું. અમિતભાઇ શાહે કહ્યું હતું કે જે લોકો ભારતમાં બેરોજગારી વધી રહી છે તેવી વાતો કરે છે તેમની સ્પષ્ટ આલોચના કરતાં કહ્યું કે, ૫૦-૬૦ વર્ષ સુધી જેમણે શાસન કર્યુ તે લોકોએ બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે શું કર્યુ?
તેમણે ઉમેર્યુ હતું કે, ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં યુવાનોને રોજગારી મળે એ માટે જે શાસકોએ અત્યાર સુધી નવો કોઇ માર્ગ શોધ્યો તે હવે અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. ર૦૧૪માં શાસનદાયિત્વ સંભાળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની યુવાશકિતને સ્કીલ ડેવલપમેન્ટથી સશકત કરવા સ્કીલ ડેવલપમેન્ટનું અલગ મંત્રાલય કાર્યરત કર્યુ અને ઊદ્યમીતાને એક નવી ગતિ આપી છે. સ્કીલ ડેવલપમેન્ટથી યુવાશકિતનું અપગ્રેડેશન કરીને તેને વિશ્વના પડકારોને ઝિલવા સક્ષમ બનાવવાનું પણ મિશન મોડમાં પ્રધાનમંત્રીએ ઉપાડયું છે.
આ સંદર્ભમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, ૧૩૦ કરોડની આબાદી વાળો આપણો દેશ સૌથી યુવા દેશ પણ છે. વિશ્વનું સૌથી મોટુ બજાર ભારત છે,  તેના માટે વડાપ્રધાને મેઈક ઈન ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ બળ આપવા કેન્દ્ર સરકારે ઉદ્યોગોને અનુરૂપ નીતિ બનાવી છે. રાજયો-રાજયો વચ્ચે આ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી છે તેના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વૈશ્વિક રેન્કિંગમાં ભારતે ૭૦ ક્રમ આગળ આવ્યુ છે.
 
ભારત વિશ્વનું સૌથી તેજ ગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. ભારત ૫૦-૬૦ વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોચ્યું હતુ જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં ઈકોનોમી બે થી વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોચી છે. આગામી વર્ષ-૨૦૨૪ સુધીમાં ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો આપણે નિર્ધાર કર્યો છે, તેમાં યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ મોટી ભૂમિકા ભજવશે એમ તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું. 
 
ગુજરાતની ૨૭૨ આઈટીઆઈને આઈઆઈએસ સાથે જોડીને તેને વધુ અપગ્રેડ કરવા ટાટા ગ્રૃપના આઈઆઈએસના તજજ્ઞો રાજયભરની આઈટીઆઈને તાલીમ આપી આઈઆઈએસ સમકક્ષ બનાવે તેવો અનુરોધ તેમણે રતન ટાટાને કર્યો હતો. રતન ટાટાએ તેનો ત્વરિત પ્રતિસાદ આપતાં ટાટા ટ્રસ્ટ આ માટે તત્પર છે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.
 
૫૦ લાખ જેટલા યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ થકી ફાયદો થયો છે તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ટાટા સન્સના સહયોગથી શરૂ થનાર આ સંસ્થાનમાં પાંચ હજાર છાત્રોને એક વર્ષમાં જ તાલીમ અપાશે. જેમાંથી ૭૦ ટકા  જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાનમાં યોજાતા પ્લેસમેન્ટમાં નોકરી મળી જશે,તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
 
વિશ્વમાં સ્કીલ આંદોલન થઇ રહ્યું છે, તેમ જણાવી કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો પાછળ ન રહે તે માટે ‘સ્કીલ ઇન્ડિયા’ સાથે એપ્રેન્ટીશીપની યોજના જોડવામાં આવી છે. સ્કીલ ઇન્ડિયા અંતર્ગત ૨૩ લાખથી વધુ યુવાનો, ૯ હજાર જેટલી શાળાઓને ‘સ્કીલ ઇન્ડિયા’ સાથે જોડવામાં આવી છે. હાલમાં ૧૪,૯૦૦ થી વધુ આઇ.ટી.આઇ. દેશભરમાં કાર્યરત છે. તેમણે કહ્યું કે, યુવાનોએ જીવનમાં કારકિર્દીનો લક્ષ્યાંક કદી નીચો ન રાખવો જોઇએ. કારણ કે તેમની  કારકિર્દી માટેનો માર્ગ વિશાળ અને પ્રશસ્ત બનાવ્યો છે. આ સરકાર સમસ્યાઓની સંપૂર્ણ સમાપ્તીના લક્ષ સાથે આગળ વધી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર