કચ્છ: તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત, પરિવારમાં છવાયું માતમ

બુધવાર, 26 જૂન 2019 (10:15 IST)
એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મસી ગઇ છે. કચ્છના રાપરમાં એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા બનાવ સ્થળ પર પહોંચી બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના રાપર તાલુકાના ગેડી ગામે એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. જ્યારે ત્રણે બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.
 
જો કે, આ ઘટના સર્જાતા સ્થળ પર પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગ્રામજનો પણ એકત્રિત થઇ ગયા હતા અને તેમણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પોલીસે સમગ્ર ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર