બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરી તો ગયા સમજો, જાણો શું સજા થશે

સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (11:23 IST)
-  ભૂલથી પણ પરીક્ષાખંડમાં મોબાઇલ સાથે લઈને આવતા નહીં
-  સ્માર્ટ વૉચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે
- પરીક્ષાનું પરિણામ રદ કરવા ઉપરાંત ત્યાર પછીની ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે.

ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડની પરીક્ષામાં મોબાઇલ જ નહીં, સ્માર્ટ વૉચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે. તેમજ બોર્ડ પરીક્ષામાં 33 પૈકી પાંચ ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ છે.

દર વર્ષે 15થી વધુ વિદ્યાર્થીઓ મોબાઇલ સાથે ઝડપાતા ફરિયાદ દાખલ થાય છે. કુલ 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત છે કે, દર વર્ષે અંદાજે 15થી વધુ વિદ્યાર્થીઓ મોબાઇલ સાથે ઝડપાતાં નિયમ મુજબ પ્રથમ દૃષ્ટિએ જ તેમની સામે ગુનો દાખલ થાય છે. આથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, ભૂલથી પણ પરીક્ષાખંડમાં મોબાઇલ સાથે લઈને આવતા નહીં. માત્ર મોબાઇલ જ નહીં સ્માર્ટ વૉચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે. કારણ કે, હાલમાં યુવાનોમાં સ્માર્ટ વૉચ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે એમાં જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ અથવા અન્ય પ્રતિબંધિત વિજાણું ઉપરકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયા, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યો હોય, પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈ-મેઇલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઈલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યં હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધવવામાં આવશે. તેમજ આ પરીક્ષાનું પરિણામ રદ કરવા ઉપરાંત ત્યાર પછીની એક-બે અથવા તો ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર