દુષ્કર્મ પીડિતા ગર્ભપાત કેસને લઈને ગુજરાત હાઈકોર્ટને સુપ્રિમ કોર્ટની ફટકાર, દરેક દિવસ મહત્વનો તો 12 દિવસ પછીની તારીખ કેમ ?

શનિવાર, 19 ઑગસ્ટ 2023 (15:17 IST)
ગુજરાતની 25 વર્ષની બળાત્કાર પીડિતાના 28 અઠવાડિયાના ગર્ભપાત અંગે આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શનિવાર રજા હોવા છતાં ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની વિશેષ બેંચે આ મામલે તાકીદની સુનાવણી હાથ ધરી હતી.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ પીડિત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી. જો કે, આદેશની નકલ રજુ કરી ન હતી. આ પછી અરજદાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી.    19 ઓગસ્ટે સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્ને ગુજરાત હાઈકોર્ટને ઠપકો આપ્યો હતો. કહ્યું કે આવા  કેસમાં જ્યારે દરેક દિવસ મહત્વપૂર્ણ હોય છે, તો પછી સુનાવણીની તારીખ કેમ મોકૂફ રાખવામાં આવી? હકીકતમાં, 11 ઓગસ્ટના રોજ, હાઇકોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી ન કરતાં 12 દિવસ પછી આગામી તારીખ આપી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી સોમવારે (21 ઓગસ્ટ) થશે.
 
ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત સંબંધી અન્ય એક કેસમાં પણ આવો જ ચુકાદો આપ્યો હતો. જ્યારે કોર્ટે સગીર બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, છોકરીઓ માટે નાની ઉંમરમાં લગ્ન કરવા અને 17 વર્ષની ઉંમર પહેલા બાળકને જન્મ આપવો સામાન્ય બાબત છે. મનુસ્મૃતિમાં પણ તેનો ઉલ્લેખ છે. જસ્ટિસ સમીર દવેએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો બાળકી અને ભ્રૂણ બંને સ્વસ્થ હોય તો તે ગર્ભપાતની અરજીને મંજૂરી આપી શકે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર