મોરબી દુર્ઘટના પર પીએમ મોદીની મુલાકાતને લઈ ટ્વિટ કરનાર આ નેતાને કોર્ટે જામીન આપ્યા

શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (18:14 IST)
મોરબી દુર્ઘટના સમયે વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ટ્વીટ કરનાર તૃણમુલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેના 3 ડિસેમ્બર સુધીના રીમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોંર્ટે સાકેત ગોખલેના 8 ડિસેમ્બરે બાર વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતાં. સાકેત ગોખલેના રીમાન્ડ પૂર્ણ થતાં તેને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે તેની જામીન અરજી પર 25 હજારના બોન્ડ પર શરતી જામીન મંજુર કર્યાં છે.

મોરબીની દુર્ઘટના મામલે તૃણમુલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ વડાપ્રધાનની મુલાકાતને લઈને 30 કરોડ ખર્ચ થયો છે. તેનો આરટીઆઈમાં ખુલાસો થયો હોવાનું બનાવટી ન્યૂઝ કટિંગ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યું હતું. આ આરોપ તેની પર લાગ્યો હતો. ત્યાર બાદ સાયબર ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ રીમાન્ડની માંગ કરતાં કોર્ટમાંથી રીમાન્ડ મંજુર થયા હતાં અને આજે કોર્ટમાંથી જામીન અરજી પર સુનાવણી થતાં તેના 25 હજારના બોન્ડ પર જામીન મંજુર કરવામાં આવ્યા હતાં. તેના વકિલે જામીન માટે બાયપાસ સર્જરી કરાવી હોવાનું કારણ આગળ કર્યું હતું. જેથી કોર્ટે બંને પક્ષની રજૂઆતને માન્ય રાખી આરોપી સાકેત ગોખલેના જામીન મંજુર કર્યા હતાં. પોલીસ આરોપી સાકેત ગોખલેની જયપુરથી ધરપકડ કરીને વાહનમાં રોડ માર્ગે અમદાવાદ લાવી હતી. હવે કોર્ટે જામીન આપ્યા બાદ એવી શરતો રાખી છે કે, આરોપીએ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. જ્યારે પણ તેને કોર્ટમાં બોલાવવામાં આવે ત્યારે હાજર થવું પડશે. તે ઉપરાંત જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી દર મહિને એકથી પાંચ તારીખ સુધીમાં પોલીસમાં હાજરી પુરાવવાની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર