ગાંધીનગર જિલ્લાના ૪૫ વર્ષથી વધુ વયના ૧ લાખ ૨૫ હજારથી વધુ લોકોએ લીધી રસી

શનિવાર, 3 એપ્રિલ 2021 (21:54 IST)
ગાંધીનગર જિલ્લામાં આજદિન સુધીમાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો, હેલ્થ સ્ટાફ અને પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એવા ૧, ૨૫,૪૪૪ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. તેમજ ગાંધીનગર જિલ્લામાં ૪૫ જેટલા કોરોના રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આજરોજ કુલ ૨૨૭૯ નાગરિકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે.
 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના વેકસીન આપવાનું નક્કી થયું હતું. ત્યારથી આજદિન સુધી ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો સહિત હેલ્થ સ્ટાફ અને પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું છે.
 
આ રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને નજીકના સ્થળે લોકોને ધર આંગણે જ રસીનો લાભ મળી રહે તેમજ ટૂંક સમયમાં લોકોને કોરોના સામે રક્ષણ મળે એ હેતુથી જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્ર સિવાયના વિવિધ જગ્યાએ વધારાના કોરોના રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
 
જે તે વિસ્તારના સોસાયટી એરિયા જિલ્લા બોર્ડ નિગમની કચેરી, એસ.ટી.ડેપો, જી.આઇ.ડી.સી ઔધોગિક વિસ્તાર વસાહત વિસ્તારોમાં જઇ કોરોનાની રસી આપવામાં આવે છે. આજદિન સુધીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ ૧, ૨૫, ૪૪૪ જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર