હાર્દિક પંડ્યાની એ રણનીતિ જે ન્યૂઝીલૅન્ડ સામે નિષ્ફળ રહી

રવિવાર, 20 નવેમ્બર 2022 (14:31 IST)
ઋષભ પંત ટી20 ક્રિકેટ માટે જ બન્યા હોવાનું કેટલાય જાણકારો માને છે અને એમને કેટલાય સમયથી ઑપનિંગમાં રમાડવાની ચર્ચા થતી રહી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારતે ઋષિભ પંત અને ઇશાન કિશન પાસે ઑપનિંગ કરાવી હતી.
 
જોકે, ભારતની આ રણનીતિ નિષ્ફળ નીવડી હતી અને પંત માત્ર છ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. છ રન કરવા માટે પંતને 13 બૉલ રમ્યા હતા.
 
ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ હારીને બેટિંગ કરવા માટે ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી અને પંત તથા કિશનની જોડી મક્કમ બેટિંગ કરવા લાગી હતી.જોકે, છઠ્ઠી ઓવરની શરૂઆતમાં જ પંત પાસે ઑપનિંગ કરાવવાની કૅપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ ગઈ હતી.
 
ફર્ગ્યુસને ઓવરના પ્રથમ બૉલ પર પંતની વિકેટ ઝડપી હતી.ઑફમાંથી બહાર નીકળી રહેલા શૉર્ટ બૉલને રમવા માટે પંતે પ્રયાસ કર્યો હતો અને સાઉધીએ તેમનો કૅચ ઝડપી લીધો હતો.36 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી.
 
પંત આ પહેલાં પણ ત્રણ વખત ઇનિંગની શરૂઆત કરી ચૂક્યા છે અને પ્રથમ 10 બૉલ પર 112થી વધારે સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યા હતા. આ સ્ટ્રાઇક રેટ બાદમાં વધી જતી હોય છે.પ્રથમ બૉલથી જ આક્રમક બેટિંગ કરવાની એમની ક્ષમતા એમને ખાસ બનાવે છે અને આ જ ક્ષમતાનો ફાયદો લેવા હાર્દિક પંડ્યાએ પંતને ઑપનિંગમાં રમવા માટે ઉતાર્યા હતા. જોકે, હાર્દિકનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર