Ahmedabad Rath Yatra route - આજે આ રૂટ પરથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, શહેરમાં આ રસ્તાઓ બંધ

મંગળવાર, 20 જૂન 2023 (08:46 IST)
પોલીસનું આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે
 
 શહેરમાં  20મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તાઓ બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસનું આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે. રથયાત્રા નીકળશે ત્યારથી લઈને પૂર્ણ થશે ત્યાં સુધી શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે. 
ahmedabad rathyatra
શહેરમાં આ રસ્તાઓ બંધ કરવામાં આવશે
પોલીસના જાહેરનામા પ્રમાણે બંધ કરવામાં આવેલા રસ્તાની વાત કરીએ તો, ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સાળંગપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા ચોકી, આર.સી. હાઈસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક અને ગોળલીમડા વાળો રસ્તો બંધ કરવામાં આવશે. આ રસ્તા બંધ હોવાથી ટ્રાફિક પોલીસે તેનો વૈકલ્પિક માર્ગ પણ જાહેર કર્યો છે. 
 
પોલીસે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાનો જોડાયા, જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300 PI, 700 PSI રિહર્સલમાં જોડાયા હતા. આ સાથે 6 હજાર હોમગાર્ડના જવાન, SRP અને SAPFની 35 કંપનીઓ પણ રિહર્સલમાં જોડાઈ હતી.
રામમંદિર માટે મુગટ મોકલવામાં આવશે
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયાને જણાવ્યું હતું કે 18 જૂને રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગાર, પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી, મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.જમાલપુર જગન્નાથ મંદિર તરફથી અયોધ્યામાં રામમંદિર માટે મુગટ મોકલવામાં આવશે. 
 
ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરાશે
20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે. 
 
આ રૂટ પર રથયાત્રા નીકળશે
 
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
9.45 વાગ્યે- રાયપુર ચકલા
10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
12 વાગ્યે-સરસપુર
1.30 વાગ્યે-સરસપુરથી પરત
2 વાગ્યે-કાલુપુર સર્કલ
2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
3.15 વાગ્યે-દિલ્હી ચકલા
3.45 વાગ્યે-શાહપુર દરવાજા
4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
5 વાગ્યે-ઘી કાંટા
5.45 વાગ્યે-પાનકોર નાકા
6.30 વાગ્યે-માણેકચોક
8.30 વાગ્યે-નિજ મંદિર પરત

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર