મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને આરતી ઉતારી, રથનું પૂજન કરાયું

સોમવાર, 19 જૂન 2023 (23:37 IST)
વડાપ્રધાન મોદીએ રથયાત્રા નિમિત્તે પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી, જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ મોકલાવ્યો
 
rathyatra

 શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ પ્રસાદ મોકલાવ્યો છે. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને આરતી ઉતારી હતી. આજે સવારે ત્રણેય રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા અને ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સાંજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
 
સુખ સમૃદ્ધિ અને વિકાસ માટે ભગવાનને પ્રાર્થના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 146મી રથયાત્રા નીકળવાની છે. લોકોનો ઉત્સાહ ટકી રહે તેના માટે ભગવાનની ચરણોમાં પ્રાર્થના કરી છે. સુખ સમૃદ્ધિ અને વિકાસ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ અને ઝીરો કેજઝલટી સાથે પસાર થઇ ગયું છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં એક ટીમ થઇ કામ કર્યું તેનું પરિણામ દેખાયું છે. નાના-મોટા નુકસાન અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ પેકેજ જાહેર કરવામાં આવશે.
 
ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
દર વર્ષે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં શણગારાયેલા ગજરાજ પણ જોડાતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આ ગજરાજનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. અત્યાર સુધી રથયાત્રામાં આવો કોઈ બનાવ બન્યો નથી. પશુપાલન વિભાગ, વન વિભાગ અને ઝૂ ઓથોરિટીના ડોક્ટરોએ તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. મેડિકલ ચેકઅપના રિપોર્ટ બાદ તેમને રથયાત્રા માટે મંજૂરી મળે છે. રથયાત્રા પૂર્વે ચાર ટીમ દ્વારા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કુલ 14 ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર