અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના કાફલાએ મેગા રિહર્સલ કર્યું

શનિવાર, 17 જૂન 2023 (15:16 IST)
gujarat rathyatra
પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે તે માટેનું એક મેગા રિહર્સલ યોજાયું
 
 શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે યોજાવાની છે. પોલીસ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. જેમાં હિંદુ મુસ્લિમ એકતા માટેના અનેક પ્રયાસ આ વખતે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. અમદાવાદના રથયાત્રા રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના જવાનોનું મેગા રિહર્સલ શરૂ થયું હતું. સવારે 7:00 વાગ્યાથી શહેર પોલીસ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર નીકળી હતી. બીજી તરફ આયોજનમાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે આ વખતે પોલીસે ટેક્નોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે. 
ahmedabad rathyatra
પોલીસ અને પેરામિલિટરીનો કાફલો નીકળ્યો હતો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે આજે પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે. તે માટે એક મેગા રિહર્સલ રથયાત્રાના રૂટ પર યોજાયું હતું. જમાલપુરથી સવારે સાત વાગે પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો કાફલો રથયાત્રાના રૂટ પર નીકળ્યો હતો. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ સાડા દસની આસપાસ નિજ મંદિરે પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતા તમામ ખૂણા દબાણ અને અલગ અલગ વ્યવસ્થા પણ છેલ્લી નજર નાખી હોવાનું પોલીસનું કામ આજે  પૂર્ણ થયું છે. 
ahmedabad rathyatra
પોલીસે રથયાત્રામાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો
બીજી તરફ સવારે રિહર્સલ દરમિયાન વરસાદ હતો તેમ છતાં પોલીસ પોતાનું કામગીરી આગળ વધારી રહી હતી. જો રથયાત્રાના દિવસે પણ વરસાદ રહે તો તે માટે પણ ખાસ તૈયારીઓ કરવાની વ્યવસ્થા ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ દ્વારા કરી દેવામાં આવી છે. આ વખતની રથયાત્રામાં પોલીસે થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વિલન્સ એટલે કે 300થી વધુ ડ્રોન અલગ અલગ વિસ્તારમાં રાખવાની પણ તૈયારી કરી લીધી છે. આ વખતે રથયાત્રામાં કોઈપણ સુરક્ષાના સંદર્ભે કચાસ ન રહી જાય તે માટે ગૃહ વિભાગે પણ અમદાવાદ પોલીસ સાથે સંકલન કર્યું છે. અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ અમદાવાદની રથયાત્રા માટે પોલીસ ફોર્સ લાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર