Vat Purnima Vrat 2023: વટ પૂર્ણિમા વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતકથા

ગુરુવાર, 18 મે 2023 (11:44 IST)
વટ સાવિત્રી વ્રત (વટ પૂર્ણિમા) 3 જૂન 2023 બપોરે 11.16 થી શરૂ  
વટ સાવિત્રી વ્રત નો સમાપન - 4 જૂન 2023 ને સવાર એ 9.11 
વટ સાવિત્રી વ્રતના શુભ મુહુર્ત- 4 જૂન 2023 સવારે  9.40 મિનિટથી 
 
 
વટ સાવિત્રી વ્રત મહત્વ 
 
ધાર્મિક કથાઓ મુજબ, સાવિત્રી પોતાના પતિના પ્રાણ યમરાજથી બચાવતા હતા. તેને પુત્ર પ્રાપ્તિ અને સાસુ-સસરાના રાજકાજ પરત મળવાનો અશીર્વાદ પણ પ્રાપ્ત થયો. તેથી સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુ માટે અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. 
 
વ્રત સાવિત્રીની પૂજા સામગ્રી
 
વાંસની લાકડીથી બનેલો પંખો, ચોખા, હળદર, અગરબત્તી કે ધૂપબત્તી, લાલ પીળા રંગની નાળાછડી, સોળ શૃંગાર, તાંબાના લોટોમાં પાણી , પૂજા માટે સિંદૂર અને લાલ રંગના વસ્ત્ર પૂજામાં પાથરવા માટે પાંચ પ્રકારના ફળ, વડનુ ઝાડ અને પકવાન વગેરે. 
 
વટ સાવિત્રી પૂજા વિધિ 
 
વટ સાવિત્રી વ્રતની પૂજા માટે એક વાંસની ટોકરીમાં સાત પ્રકારના અનાજ મુકવામાં આવે છે જેને કપડામાં બે ટુકડાથી ઢાંકી દેવામાં આવે છે.  એક બીજી વાંસની ટોકરીમાં દેવી સાવિત્રીની પ્રતિમા મુકવામાં આવે છે. વટ વૃક્ષ પર મહિલાઓ જળ ચઢાવીને કુમકુમ, ચોખા ચઢાવે છે. પછી સૂતરના દોરાથી વટ વૃક્ષને બાંધીને તેના સાત ચક્કર લગાવાય છે અને ચણા ગોળનો પ્રસાદ વહેંચવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓ કથા સાંભળે છે. 
 
વટ સાવિત્રી વ્રત કથા 
 
રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો.
 
સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કિલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું. પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યં “પિતાજી, હું આર્ય કુમારી છું, આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાઆયુ હોય કે દીર્ધાયું, એ મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહી આપું.”
 
સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ-સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી આમ, સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું.
 
એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાંપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ-સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડી કાંપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનુ માથું સખત દુ:ખાવાં માંડ્યુ, અને તે નીચે ઉતરી ગયો.
 
સાવિત્રીએ પાસે આવેલાં એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધુ. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યુ હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચેહરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવાં માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવાં કહ્યું.
 
જવાબમાં તે બોલી - “ મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાંયાની જેમ અનુસરણ કરે. અને હું પણ એ જ કરી રહી છું. આ મારી મર્યાદા છે. તમે આના વિરુધ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું.” યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહી કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાના આંખોની રોશની તથા દીર્ધાયું માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવાં માડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી.
 
તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રી એ કહ્યું “ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધુરું છે. અમે પતિ-પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ. મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ.” સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધુ. યમરાજ ફરી ‘તથાસ્તુ’ કહીને ચાલવાં માંડ્યાં. સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું “ ભદ્રે ! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે.”
 
સાવિત્રી બોલી, “જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારાં દિલથી કાંઈ આપવાં માંગતા હોય તો મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન આપો.” યમરાજે ‘તથાસ્તુ’ કહીને આગળ વધ્યા.
 
સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું કે” હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?”
સાવિત્રીએ કહ્યું “ તમે મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન તો આપ્યુ, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકુ છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરુ કરી શકીશ”.
 
સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા.
 
સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતાં. અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું.
 
મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની. આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર