સુરતમાં મેટ્રોની કામગીરી કરતાં યુવકને કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

સોમવાર, 7 ઑગસ્ટ 2023 (16:20 IST)
surat news
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં 24 કલાકથી મૃતદેહ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે
 
 શહેરમાં કરંટ લાગતાં શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. છેલ્લા 24 કલાકથી શ્રમજીવીનો મૃતદેહ સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી ગઈ હતી. 
 
મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડિંડોલીમાં રહેતા મરાઠી પરિવાર સાથે ઈશ્વર ખલશે મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. ગઈકાલે બપોરે ઈશ્વર અને તેના પરિવારના સભ્યો મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો. કીચડમાં કોઈ કારણસર વીજ કરંટ પસાર થયાં ઈશ્વરનું કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અઠવા લાઈન્સ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
 
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો
મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં છેલ્લા 24 કલાકથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે.મૃતકના ભાઇ સંતોષે મીડિયાને જણાવ્યું હતું કે, મેટ્રોમાં અધિકારીઓએ મૃતકનો વીમો કરાવવાની વાત કરીને તેની જવાબદારી લીધી હતી. કંપની પાસેથી રૂપિયા અપાવવાની જવાબદારી પણ લીધી હતી. જેની લેખિતમાં બાહેંધરી નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહિ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર