Defamation Case: રાહુલ ગાંધીને રાહત નહીં ! માનહાનિ કેસમાં સજા પર સ્ટેની માગ કરતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (11:18 IST)
- નીચલી અદાલતે તેને બે વર્ષની સજા ફટકારી હતી 
- આજે થયેલી સુનવણીમાં રાહુલ ગાંધીને કોર્ટ તરફથી કોઈ જ રાહત મળી નથી  
 
સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસનો ચુકાદો આવી ગયો છે. સેશન્સ કોર્ટે આ મામલે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જેને રાહુલ ગાંધી માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે   નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આ ફરિયાદ 2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી. હવે આ મામલે આવતીકાલે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. 
 
રાહુલે સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી
 
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 23 માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. આ કેસમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલને જામીન મળી ગયા હતા. ટ્રાયલ કોર્ટની સજા સામે અપીલ દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આર.એસ. ચીમાએ કહ્યું હતું કે આખો કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ પર રાહુલનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર