ધોરણ 9,10 અને 12માં લર્નિંગ લૉસ જાણવા માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

શુક્રવાર, 2 જુલાઈ 2021 (12:21 IST)
ગુજરાત સરકાર દ્રારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત પણ કરી હતી. ધોરણ 9,10 અને 12માં ભલે માસ પ્રમોશન મળ્યું પરંતુ લર્નિંગ લૉસ જાણવા માટે પરીક્ષા લેવાશે. જો કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે.

આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.ધોરણ 9,10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ નિદાન કસોટી યોજાશે. જે અધ્યાપનનું સ્તર જાણવા માટે મદદરૂપ થશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે.

નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ 9ની નિદાન કસોટી માટે ધોરણ 8ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEO ને મોકલવામાં આવશે. 7 જુલાઈએ જ DEO દ્વારા SVC કન્વિનરોને ઇ-મેઇલ મારફતે પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે. 8 જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, તેમજ SVC કન્વિનરો દ્વારા શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ આપવામાં આવશે. 10 થી 12 જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. 13 અને 14 જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. 30 જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શાળા કક્ષાએથી માર્ક અપલોડ કરવાના રહેશે. ધોરણ 9 માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 8ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 10 માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 9ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે. ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે નામાંના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર