ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના ફ્રી, 1 તારીખે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

શુક્રવાર, 2 જુલાઈ 2021 (09:34 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના નર્મદા જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા હાશકારો અનુભવાયો હતો.
 
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી ગુરૂવારે તા.1 લી જુલાઇ, 2021 ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે RTPCR ટેસ્ટમાં ૫૨૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 429 સહિત કુલ-958 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-103, કોવિડ ડેથ વીથ  કોમોર્બીડીટી-32 અને કન્ફર્મ  કોવિડ ડેથ-18 દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.
 
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.1 લી જુલાઇ, 2021 ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-40,711 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-76 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1016586 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-30 પોટેન્સી ગોળી 9061196 લોકોને વિતરણ કરાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર