ચોટીલામાં નીકળેલી તિરંગા યાત્રામાં બાળકો સાવરકરની ટી-શર્ટમાં દેખાતા કોંગ્રેસ ભડકી

બુધવાર, 14 ઑગસ્ટ 2024 (16:10 IST)
tiranga yatra
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ઠેર ઠેર લોકો તિરંગો લહેરાવી રહ્યાં છે. ત્યારે ચોટીલામાં નીકળેલી તિરંગા યાત્રામાં વિવાદ સર્જાયો છે.ચોટીલાની સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્ર વાળી કેસરી ટી-શર્ટ પહેરી હતી. આ સમયે કોંગ્રેસની ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસ ભડકી હતી. કોંગ્રેસ તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ગાંધી અને સરદાર ભૂલાયા છે. આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે.
 
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર સામે આક્ષેપ કર્યા
કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી છે.આ યાત્રા ચોટીલાથી ડોળીયા જવા નીકળી ત્યારે સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતા કોંગ્રેસે ગુજરાતમાં ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની સરકારી સાજીશ હોવાનો આક્ષેપ કર્યો હતો. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની નજર તિરંગા યાત્રામાં જોડાયેલા બાળકોની ટીશર્ટ પર પડી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર સામે આક્ષેપ કર્યા હતાં. 
 
કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારાઓ લગાવ્યા
કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, શાળાના બાળકોનો સ્કૂલ ડ્રેસ દબાવી દીધો છે અને એની ઉપર સાવરકરના ફોટાની કેસરી ટીશર્ટ પહેરાવીને યાત્રા કાઢી છે. એમણે બાળકોને જ પૂછ્યું હતું કે, આપણે ગાંધીજીની ટીશર્ટ પહેરવી જોઈએ કે પછી સાવરકરની ટીશર્ટ પહેરવી જોઈએ? સાવરકરની કેસરી ટીશર્ટ સાંગાણી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પહેરાવી છે. કાલે ઉઠીને તમને ગોડસે કે દાઉદનુ ટીશર્ટ આપશે તો એ પહેરવા દેશો. જ્યારે સ્કૂલના આચાર્યએ આ ટીશર્ટ દાતાઓએ આપી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે વચ્ચે દરમિયાન ગીરી કરી બાળકોના ટીશર્ટ તાકીદે બદલવાની સૂચના આપી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારાઓ લગાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર