સરકાર સામે ઈમાનદાર અધિકારીની જીત, પૂર્વ મામલતદાર ડો.ચિંતન વૈષ્ણવને ફરજ પર હાજર થવા આદેશ

મંગળવાર, 11 જુલાઈ 2023 (15:54 IST)
અધિકારીને હક્ક પ્રમાણે ફરજ અને લાભ, હિસ્સો આપવા પણ હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો
 
Former Mamlatdar Dr. Chintan Vaishnav - ગુજરાત સરકારે ફરજ મોકુફ કરેલા મામલતદાર ડો. ચિંતન વૈષ્ણવને ફરજ પર પર લેવા માટે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારને તેમને નોકરીમાં પરત લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. હવે તેમને સાત દિવસમાં મહેસૂલ વિભાગમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.  મહેસૂલ વિભાગના હૂકમ પ્રમાણે ડો. ચિંતન વૈષ્ણવનો 9 મે 2013 કચેરી સમય બાદથી સમાપ્ત કરીને તેમને લાંબાગાળાના ધોરણે નિમણૂંક આપવામાં આવશે.  બીજી માર્ચ 2019થી આ હૂકમ અન્વયે તેઓ હાજર થાય ત્યાં સુધીની તેમની સેવાઓ સળંગ ગણીને ઉક્ત સમયગાળા દરમિયાન મળવાપાત્ર થતાં લાભોની ચૂકવણી કરાશે. 
 
2019માં તેમને ફરજ પરથી ટર્મિનેટ કરી દેવાયા
ગુજરાત સરકારે ફરજમાંથી ટર્મિનેટ કરી નાખેલા મામલદાર ડૉ. ચિંતન વૈષ્ણવને નોકરીમાં પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટે મહિના પહેલા જ આદેશ આપ્યો હતો. સરકારને આદેશનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 2011માં GPSCની પરીક્ષા આપીને મામલતદાર તરીકેનાં હોદ્દો મેળવનારા ચિંતન વૈષ્ણવને ગુજરાત સરકારે 2019માં ટર્મિનેટ કરી દીધા હતા. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવની તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર બદલીઓ કરવામાં આવી હતી. છેલ્લે તેઓ દાહોદ જિલ્લામાં ફરજ પર હતા ત્યારે 2 માર્ચ 2019ના રોજ તેમને ફરજ પરથી ટર્મિનેટ કરી દેવાયા હતા જો કે સરકારે કોઈ કારણ પણ જાહેર કર્યું નહતું.
 
છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા હતા
ઈમાનદાર અધિકારી તરીકેની છાપ ધરાવતા દાહોદના પૂર્વ મામલતદાર ડૉ. ચિંતન વૈષ્ણવની હાઈકોર્ટમાં જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સરકાર ત્રણ મહિનામાં તેમને ફરજ પર લે તેવો આદેશ પણ કર્યો છે. ચિંતન વૈષ્ણવ દાહોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હતા ત્યારે તેમને ટર્મિનેટ કરાયા હતા.ખંભાળિયા મામલતદાર હતા તે સમયે તેમને સસ્પેન્ડ કરાયા હતા.તેઓને યોગ્ય કારણ વગર સરકારે ફરજ મુક્ત કર્યા હતા. રાજ્ય સરકારના નિર્ણય સામે ચિંતન વૈષ્ણવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.
 
ફરજ અને લાભ, હિસ્સો આપવા હાઈકોર્ટનો આદેશ
આખરે તેમની હાઈકોર્ટમાં જીત થઈ છે અને હક્ક પ્રમાણે ફરજ અને લાભ, હિસ્સો આપવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે ટર્મિનેશન સર્વિસ રૂલને અનુરૂપ નથી ટર્મિનેશન ગેરબંધારણીય છે. જીએડી રૂલ્સના ઠરાવ પ્રમાણે કાર્યવાહી કરાઇ નથી. જેથી ત્રણ મહીનામાં તેમને સર્વિસમાં પરત લેવા અને અગાઉના તમામ પગાર ભથ્થા ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ચિંતન વૈષ્ણવ ફરજ પર હતા ત્યારે કોઈ ખાસ કારણ ન હોવાં છતાં રાજ્ય સરકારે ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ અધિકારીને સસ્પેન્ડ કરવાની માહિતી મળતા પ્રજામાં પણ રોષ જોવા મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર