એસ.ટી. નિગમના પડતર પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ, એસ.ટી. નિગમને લગતી રજૂઆતોનો હકારાત્મક નિકાલ

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (09:16 IST)
ગુજરાત વાહન વ્યવહાર નિગમને લગતા સંસદસભ્યો, ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખોના પડતર પશ્નો અંગેની સમીક્ષા બેઠક આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી. નવા સચિવાલય, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાયેલી આ બેઠકમાં સંસદસભ્યો, ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખો સહિતના લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા એસ.ટી. નિગમના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી તેના ત્વરિત અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. 
 
મંત્રીએ લોકપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી ૧૮૪ રજૂઆતો પૈકી ૮૧નો સ્થળ પર જ નિકાલ કર્યો હતો જ્યારે બાકી રહેલા તમામ પ્રશ્નોનો નિકાલ લાવવા તત્પરતા દર્શાવી હતી.મંત્રીએ આ બેઠકમાં લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા એસ.ટી. નિગમને લગતી રજૂઆતો જેવી કે, નવા બસ રૂટ શરૂ કરવા, રૂટના સમયમાં ફેરફાર કરવા તેમજ નવીન બસ સ્ટેન્ડ/પીકઅપ સ્ટેન્ડ બનાવવા સહિતના ૧૮૪ જેટલી વિવિધ રજૂઆતો મળી હતી, જે પૈકી ૮૧ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું છે. 
 
૬૧ પ્રશ્નો અન્વયે જરૂરી વિચારણા બાદ કાર્યવાહી કરી નિકાલ લાવવામાં આવશે, જ્યારે ૩૩ પ્રશ્નો અન્વયે થયેલી રજૂઆતના સંદર્ભે વૈકલ્પિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર