હવે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર સીધો ખાતામાં જમા થશે, વચેટિયાની થશે નાબૂદી

મંગળવાર, 9 માર્ચ 2021 (12:11 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ કરાવ્યો હતો. 
 
મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડી તેડાગર બહેનોને હવે પગારના નાણાં સીધા જ બેંક ખાતામાં જમા થવાની ગુજરાતની પહેલને પારદર્શી વ્યવસ્થા, ફેઇસ લેસ સિસ્ટમ અને વચેટિયા નાબૂદીની દિશામાં વધુ એક નક્કર કદમ ગણાવી હતી. 
 
વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્ય સરકારે એલ.આઇ.સી.ને ફંડ મેનેજર તરીકેની જવાબદારી સોંપીને MoU કર્યા છે. જે અન્વયે મુખ્યમંત્રીએ રર કરોડ રૂપિયાનો ચેક એલ.આઇ.સી.ને અર્પણ કર્યો હતો.
મહાનુભાવોએ આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજનાના ચેક વિતરણ તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરીના પ્રથમ ધોરણમાં એડમિશન વખતે 4 હજાર રૂપિયા, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6 હજાર રૂપિયા તેમજ જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન સહાય રૂપે દીકરીને 1 લાખની સહાય આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર