ખોટા ટ્રેક પર ચડી ગઈ ટ્રેન, સામેથી આવતી હતી રાજધાની, હજારો મુસાફરોની ઘાત ગઈ

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (12:11 IST)
અમદાવાદથી ગાંધીનગર જતી બાંદ્રા-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ શુક્રવારે સવારે 8.15 કલાકે રવાના થઈ હતી. 800 મુસાફરો ભરેલી ટ્રેનને વિરમગામ તરફ જવાનું હતું પરંતુ ટ્રેક બદલવાનું કામ કરતા કર્મચારી વિરમગામ તરફના ટ્રેકને બદલે મહેસાણા જતા ટ્રેક પર મોકલી દીધી હતી. ટ્રેન 400 મીટર આગળ ગઈ પછી ખબર પડી ગઈ હતી કે ટ્રેક ખોટો છે જેના પગલે ડ્રાઈવરે ટ્રેન અટકાવી દીધી હતી અને રિવર્સ લઈને ટ્રેનને વિરમગામના ટ્રેક પર આગળ લઈ જવાઈ હતી. અમદાવાદ ડિવિઝનના જનસંપર્ક અધિકારી, પ્રદીપ શર્માના કહેવા પ્રમાણે ગાંધીધામ એક્સપ્રેસ બીજા ટ્રેક પર જતી રહી હતી, તે વાત સાચી છે. આ ઘટના ઘટી ત્યારે એ જ ટ્રેક ઉપર દિલ્હીથી આવતી રાજધાની એક્સપ્રેસનો સમય હતો. આ ટ્રેનમાં 1000 મુસાફર સવાર હતા. જો બંને ટ્રેન એક જ ટ્રેક પર સામસામે આવી ગઈ હોત તો ઘણી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોત. જેમાં મોટી સંખ્યામાં જાનહાની તેમજ ઈજા થવાની શક્યતાઓ હતી. બંન્ને ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટાળી હતી. કર્મચારીની ભૂલથી ટ્રેન બીજા ટ્રેક પર જતી રહી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા ઉચ્ચ અધિકારીઓએ તપાસનો આદેશ આપી દીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર