ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જરુરી

શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (12:02 IST)
રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા  દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે. આ અંગે આજે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ. એટલે કે, જેમણે રસી નહીં લીધી હોય તેવા લોકો ગરબામાં ભાગ લઈ શકશે નહીં. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 
 
આ સ્થિતિમાં શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કરફ્યૂના સમયમાં વધુ ઘટાડો થશે તેમ મનાય છે. પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. રાજ્યના ગૃહ વિભાગે આજે એક ખેલૈયાઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.
 
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કરફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
 
આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી  આપવામાં આવી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર