રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ ગળું કાપી નાખવાની સુરતના યુવકને મળી ધમકી

શુક્રવાર, 1 જુલાઈ 2022 (12:41 IST)
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામી છે. જે રીતે કનૈયાલાલની ગળું કાપી હત્યા કરાઈ છે તેવી જ રીતે સુરતના યુવકની હત્યા કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે.

જેને લઈને યુવકે પોલીસ કમિશનરની કરેલી અરજી આધારે યુવકને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવકો દ્વારા આચરવામાં આવેલા જધન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી મળતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અલબત્ત ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે.ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા હાલમાં જ ઉદયપુર ખાતે દરજી કનૈયાલાલની હત્યા સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. જેને પગલે ફૈઝલ નામના યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર યુવકે લખ્યું હતું કે, ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.હાલ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. યુવરાજ પોખરણા દ્વારા અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર