કૉમ્પ્લેક્સ માટે 1,200 વૃક્ષ કપાતાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

બુધવાર, 24 નવેમ્બર 2021 (10:39 IST)
મંગળવારે ગીર-સોમનાથમાં કૉમર્શિયલ કૉમ્પલેક્સના બાંધકામ માટે સ્થાનિક તંત્ર દ્વારા 1,200 વૃક્ષો કપાયાં હોવાની વાત જાણમાં આવતાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.
 
હાઇકોર્ટે સ્થળ પર ચાલી રહેલ તમામ કાર્યો બંધ કરવાનું જણાવી. સરકારને પોતાનાં કૃત્યો માટે યોગ્ય સુધારાત્મક પગલાં લેવાં જણાવ્યું હતું. સાથે જ હાઇકોર્ટે ટિપ્પ્ણી કરી હતી કે, “એ દિવસ દૂર નથી જ્યારે આપણે ઑક્સિનજ ઉધાર માગવાનો વારો આવશે.”
 
નોંધનીય છે કે હાઇકોર્ટ આ મામલે એક જાહેરહિતની અરજીની સુનાવણી કરી રહી હતી. જે દરમિયા સરકારે કોર્ટની કઠોર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો.
 
સરકારના વકીલે પોતાની દલીલો રજૂ કરતાં કહ્યું હતું કે, “જે જમીન પર કામ ચાલી રહ્યું છે તે મ્યુનિસિપાલિટીની છે. અને જે વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં તે બિનઅનામત કૅટગરીનાં છે. આ સિવાય સ્થાનિક તંત્ર દ્વારા આના બદલે એક લાખ વૃક્ષોનું વાવવાનો નિર્ણય પણ કરાયો છે.”
 
જોકે, સરકારી વકીલના આ તર્કથી હાઇકોર્ટનું વલણ નરમ પડ્યું ન હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “તો પછી જ્યારે એક લાખ વૃક્ષો આજથી 80 વર્ષ બાદ જ્યારે સંપૂર્ણપણે વિકસિત થઈને વિસ્તાર જંગલ જેવો થઈ જાય ત્યારે જ આ પ્રોજેક્ટ માટેની મંજૂરી અપાશે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર