ગુજરાત સરકારે વિધાનસભામાં બેરોજગારીના આંકડા રજૂ કર્યા, 6 જિલ્લામાં 61 હજાર બેરોજગારો નોંધાયા કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે ગૃહમાં આંકડા રજૂ કર્યા

ગુરુવાર, 2 માર્ચ 2023 (15:00 IST)
ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. એક બાદ એક મુદ્દાઓને લઈ ચર્ચાઓ માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગૃહમાં રોજગારીનો મુદ્દો ગાજ્યો છે. ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રોજગારીને લઈને સવાલ પુછ્યો હતો. તેના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે ગૃહમાં રાજ્યના 6 જિલ્લામાં 61 હજાર 58  બેરોજગારો નોંધાયા હોવાનું સ્વીકાર્યું હતું. 
 
રાજ્ય સરકારે વિધાનસભામાં બેરોજગારીના આંકડા રજૂ કર્યા
કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકારે  રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારના આંકડા જાહેર કર્યા હતાં. તે ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ નોંધાયેલા બેરોજગારીના આંકડા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં  જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ બેરોજગારો નોંધાયા.
 
અન્ય જિલ્લાઓમાં આટલા બેરોજગારો નોંધાયા
જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8 હજાર 684 જ્યારે અર્ધશિક્ષીત 910 બેરોજગાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારો  2 હજાર 339  અને 97 
અર્ધશિક્ષિત બેરોજગાર, જૂનાગઢ જિલ્લામાં 10 હજાર 323 બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9 હજાર 956 બેરોજગારો, અમદાવાદ જિલ્લામાં 4 હજાર 30 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો, અમદાવાદ શહેરમાં 12 હજાર 282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગારો, ગાંધીનગર જિલ્લામાં 3 હજાર 707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષીત બે રોજગારો, ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષીત બેરોજગારો નોંધાયા છે. 
 
કેટલા યુવાઓને મળી રોજગારી 
વિધાનસભામાં કોંગ્રેસના સવાલના જવાબમાં અમદાવાદ જિલ્લામાં  વર્ષ 2021માં 3704 અને વર્ષ 2022માં 5616 યુવાઓને, અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં 27,058 અને વર્ષ 2022 માં 37,596 યુવાઓને, ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021માં 3682 યુવાનો, વર્ષ 2022માં 5528 યુવાનો, ગાંધીનગર શહેરમાં વર્ષ 1855 યુવાનો અને વર્ષ 2022 માં 2454 યુવાઓને રોજગારી આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર