નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત

રવિવાર, 23 જુલાઈ 2023 (10:38 IST)
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની એક બે નહીં 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમાં તણખલાની જેમ તણાઇ ગઇ હતી. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક કાર તણાઇ ગઇ હતી.
 
13 ઇંચથી નવસારી શહેરમાં જળબંબાકાર સ્થિતિ
નવસારીમાં 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે. ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર