સુરતમાં દંપતિએ લગ્નના દાયકા બાદ બાળક માટે IVF કરાવ્યું, એકસાથે ત્રણ બાળકો જમ્નતાં જ મૃત્યુ પામ્યા

શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (15:13 IST)
અધૂરા માસે જન્મેલાં ત્રણેય બાળકો પૈકી એક હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યું હતું
 
Death of 3 children born in 10 years શહેરમાં સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાની દંપતીના લગ્નનાં 10 વર્ષે મળેલું ત્રણ-ત્રણ બાળકોનું સુખ પળભરમાં છીનવાઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્નના એક દાયકા બાદ જન્મેલા ત્રણેય બાળકોના મોત થવાથી માતા અને પિતા પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. 
 
કુસમાબેનને માતા બનવાની આશ જાગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાનના ઢોલપુરનો વતની રામવીર ગોસ્વામી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રામવીર અને કુસમાબેનના લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થયા પછી પણ સંતાન નહોતું. તેમણે 6 મહિના પહેલાં આઈવીએફ સારવાર દ્વારા માતા-પિતા બનવાનો નિર્ણય લીધો હતો અને કાપોદ્રાની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. જેમાં કુસમબેનને માતા બનવાની આશ જાગી હતી. કુસમાબેનને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો. રામવીર ગોસ્વામીએ મીડિયાને કહ્યું હતું કે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ગત મંગળવારે કુસમાબેનને રૂટિન ચેકઅપ માટે લઈ જતાં ડોક્ટરે તેમને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો હોવાનું કહી દાખલ કરી લીધા હતા. 
 
એક પછી એક ત્રણ બાળકને જન્મ આપ્યો
ત્યાર બાદ ગતરોજ તેમણે એક પછી એક ત્રણ બાળકને જન્મ આપ્યો હતો.અધૂરા માસે જન્મેલાં ત્રણેય બાળકો પૈકી એક હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યું હતું. જ્યારે અન્ય બાળક બચવાની આશા દેખાતાં તેને તાબડતોબ 108 એમ્બ્યુલસમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયું હતું. પરંતુ સિવિલમાં પહોંચ્યા એ પહેલાં તે પણ મૃત્યુ પામ્યું હતું. બાળકનાં મોત થતાં મામલો કાપોદ્રા પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોસ્ટમોર્ટમની વાત આવી હતી. જોકે પોલીસે જરૂરી કાર્યવાહી કરી નવજાત બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર પરિવારને સોંપી માનવતા દાખવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર