સુરતમાં CGSTના આસિ. કમિશનરની પુત્રીએ પોલિથીન બેગ પહેરી આપઘાત કર્યો

સોમવાર, 4 માર્ચ 2024 (12:25 IST)
સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવીને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી.

પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ પાંડુચેરીના વતની કે. વેંકટેશન નાયકર હાલ અડાજણ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકીની પાસે આમ્રપાલી રો-હાઉસ ગેટ નંબર 2માં પત્ની તેમજ બે જુડવા દીકરી સાથે રહે છે. કે. વેંકટેશન મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. કે. વેંકટેશનના સંતાન પૈકી વી.માનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વી.માનુશ્રીએ શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ પરિવારને થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી.અડાજણ પોલીસએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની હાઈ એજ્યુકેટેડ હતી. એટલે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે મોઢા પર પ્લાસ્ટિક જેવી લોકિંગ સિસ્ટમ વાળી થેલી પહેરી લીધી હતી. ત્યાર બાદ પોતાના જ હાથ તેણે લોકિંગ પટ્ટી વડે બાંધી દીધા હતા. આ રીતે જાતે જ ગૂંગળામણ કરાવી આત્મહત્યા કરી હતી.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તે પરીક્ષામાં નાપાસ થઈ હતી. જેને લઇ તણાવમાં આવી આપઘાતનું પગલું ભર્યું છે. પોલીસને ઘરેથી વિદ્યાર્થિનીએ પોતે જ ઈંગ્લિશમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તે પરીક્ષામાં ફેલ થઈ જતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું લખ્યું છે. જોકે બનાવને પગલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર