PM મોદી ગુજરાતની મુલાકાતે હોવાથી 22-23 ફેબ્રુઆરીએ વિધાનસભાની બેઠક રદ

બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (12:52 IST)
વડાપ્રધાન મોદી આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા બેઠક રદ કરવામાં આવી છે.22-23 ફેબ્રુઆરીએ રદ કરાયેલી બેઠકમાંથી 2-2 બેઠક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે મળશે.
 
તમામ ધારાસભ્યો માં અંબાનાં દર્શને જશે
અંબાજી ખાતે હાલમાં પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા પધારશે. અંબાજી જતા પહેલા સવારે બજેટ સત્રની બેઠક મળશે. 
 
4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી
અંબાજી માતાના દર્શનનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતના વિસનગર પાસે આવેલા તરભ-વાળીનાથ મંદિરના શિવાલયના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે. જ્યારે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો સહિત 700 જેટલા નેતાઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ દિલ્હી જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર