મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં અમદાવાદ સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા

શુક્રવાર, 14 મે 2021 (11:41 IST)
મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને પાંચમો વોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જો કે, હાલમાં સિવિલમાં મ્યુકર માઇકોસિસની સારવારમાં જરૂરી એમ્ફોટેરિસીન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીના સગાને બહારથી લાવવાની ફરજ પડાય છે. હાલમાં સિવિલમાં 221 દર્દી સારવાર હેઠળ છે.

છેલ્લાં બે દિવસમાં બીજા 82થી વધુ દર્દીઓ દાખલ થતાં એક પછી એક ચાર વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં મ્યુકર માઇકોસિસના કોઇ લક્ષણ દેખાય તેવા દર્દી માટે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વધુ એક અલગ વોર્ડ શરૂ કરાશે. તેમજ ફંગલ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવા માટે હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે. હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર, મ્યુકર માઇકોસિસના દર્દીની સંખ્યામાં ઉછાળો આવતાં એમ્ફોટેરિસીન ઇન્જેક્શનની તકલીફ પડી રહી છે,પણ જીએમએસસીએલ તરફથી અમને પૂરા પડાય છે, જેથી દર્દીના સગા પાસેથી ઇન્જેક્શન બહારથી મગાવાતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર