કોરોનાના શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ: ડો.મહર્ષિ દેસાઈ

મંગળવાર, 11 મે 2021 (15:47 IST)
કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસમાં કોઈ વધારાના રિપોર્ટ કે પછી સીટી સ્કેન કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિક્વરી મેળવી શકે છે.
 
કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ દરમ્યાન ખૂબ જ આરામ કરવો જોઇએ, ખુબ માત્રામાં પ્રવાહી લેવું જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 
સ્ટિરોઇડ દવાનો ઉપયોગ અંગે તેમણે વધુમાં જણાવ્યું  કે, કોરોના પોઝિટિવ આવનારા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ સુધી સ્ટિરોઇડ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ૭ દિવસ બાદ ડોક્ટરની સલાહ મુજબ જ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
 
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. એટલું જ નહીં શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી વાયરસનું ઇન્ફેક્શન પણ વધી જાય છે. જેથી શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
 
ડો.મહર્ષિ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક દર્દીની મેડિકલ ટ્રીટમેન્ટ અલગ - અલગ હોય છે. એટલું જ નહિ દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. જેથી દર્દીએ અન્ય દર્દીને જોઈને તેની ટ્રીટમેન્ટ ફોલો પણ ન કરવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર