પાટીદારોને OBC અનામત અપાશે તો ગુજરાતમાં મોટો 'ભડકો' થઈ જશે - અલ્પેશ ઠાકોર

શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (16:10 IST)
ગુજરાત સરકાર પાટીદારો સાથે સમાધાન કરવા માટે તેમને અનામતનો લાભ આપવાનું વિચારી રહી છે, તેવા અહેવાલ વચ્ચે ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સરકારને ચિમકી આપી છે કે, પાટીદારોને ગુજરાતમાં અનામત અપાશે, તો બહુ મોટું જનઆંદોલન થઈ શકે છે. અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી પાટીદારો સાથે ગુજરાત સરકાર સમાધાનની દિશામાં આગળ વધે તો ગુજરાતમાં ફરી વર્ગવિગ્રહના મંડાળ થાય, તેવા સંકેત મળે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત પછી પત્રકારો સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, પાટીદાર ગુજરાતનો સૌથી મજબૂત સમાજ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબ મજબૂત છે. આ કારણે પાટીદારોને ઓબીસીમાં સમાવી શકાય નહીં અને ઓબીસી અનામત માટેની જે જોગવાઇ છે, તેનો લાભ આપી શકાય નહીં.

અલ્પેશ ઠાકોરે ઉમેર્યું હતું કે, અમને ડર એ જ છે કે, જે ઓબીસીની અંદર જ્ઞાતિઓ છે, તેમનું સામાજિક અને શૈક્ષણિક સ્તર એટલું નીચું છે કે, તેઓ પાટીદારો સાથે કોમ્પિટિશન નહીં કરી શકે. અમારો મુદ્દે પણ એ જ છે, આ સિવાય તેમને કંઈ પાવમાં આવે, તો અમારો કોઈ વિરોધ નથી. પરંતુ જો તેમને અનામત આપવામાં આવે છે, તો જે પછાત જ્ઞાતિઓ છે, જેમને હજુ અનામતનો યોગ્ય લાભ મળ્યો નથી. તો તેઓ આનાથી વિકાસ નહીં કરી શકે. બંધારણનું માળખું યોગ્ય છે, પરંતુ સરકારે આગળ આવવું પડશે અને કાયદો બનાવવો પડશે અને બંધારણમાં જે જોગવાઇ આપવામાં આવી છે, તેનો યોગ્ય રીતે અમલ કરવો પડશે. 49 જ્ઞાતિઓના ઓબીસી અનામતમાં પાટીદારોને સમાવેશ કરવામાં આવશે, તો ગુજરાતમાં એક મોટું આંદોલન થઈ શકે છે. આમ છતાં તેમને જો અનામત આપવામાં આવશે, તો ગુજરાતમાં મોટું જનઆંદોલન થઈ શકે છે

વેબદુનિયા પર વાંચો