સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ: દ્રૌપદી મૂર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું

ગુરુવાર, 27 જૂન 2024 (15:35 IST)
અઢારમી લોકસભાના ગઠન બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું.
 
રાષ્ટ્રપતિએ તમામ સાંસદોને જીતની શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, “તમે લોકો પ્રજાનો વિશ્વાસ જીતીને આવ્યા છો અને 140 કરોડ લોકોની આકાંક્ષાઓને પૂરા કરવા માટે તમે માધ્યમ છો.”રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં કાશ્મીર ખીણમાં મતદાનના અનેક રેકૉર્ડ તૂટ્યા છે. આપણે કાશ્મીરમાં મતદાન સમયે બંધના એલાન અને હડતાળ વચ્ચે કાયમ ઓછું મતદાન જોયું છે.”
 
તેમણે કહ્યું હતું કે, “સરકારનો એ નિરંતર પ્રયાસ રહ્યો છે કે દેશના યુવાનોને તેમની પ્રતિભા દેખાડવાનો યોગ્ય અવસર મળે. સરકારી ભરતી હોય કે પરીક્ષાઓ, ગમે તે કારણે જો તેમાં અવરોધ આવે તો એ યોગ્ય નથી.”
 
તેમના મત પ્રમાણે, “પરીક્ષામાં પારદર્શિતા ખૂબ જરૂરી છે.” રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “હાલમાં જ કેટલીક પરીક્ષાઓમાં થયેલી પેપરલીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ અને દોષીઓને કડકમાં કડક સજા અપાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે અનેક રાજ્યોમાં પેપરલીકની ઘટનાઓ બનતી રહી છે. આ વખતે પક્ષો કે રાજકારણથી ઉપર ઉઠીને દેશવ્યાપી ઉપાય કરવાની જરૂર છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર