એચડીએફસી બેંકે સુપ્રસિદ્ધ પ્રવાસનસ્થળે તેની પ્રથમ શાખા ખોલી

શનિવાર, 28 જાન્યુઆરી 2023 (10:55 IST)
એચડીએફસી જાહેર કર્યું છે કે, તેણે કન્યાકુમારી ટાઉનમાં બુધવારે તેની પ્રથમ શાખા ખોલી છે. કેપ રોડ પર આવેલી આ શાખા બેંકની દેશમાં આવેલી સૌથી દક્ષિણવર્તી શાખા છે અને આ સાથે જ, તે બેંકની સમગ્ર દેશમાં પોતાની સેવાઓ પૂરી પાડવાની કટિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. કન્યાકુમારી જિલ્લામાં એચડીએફસી બેંકની આ 11મી શાખા છે.
 
એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શશીધર જગદીશને આ શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીના બ્રાન્ચ બેંકિંગ હેડ સંજીવ કુમાર તથા મદુરાઈના સર્કલ હેડ ઇલામુરુગુ કરુણાકરન સહિત એચડીએફસી બેંકની સીનિયર મેનેજમેન્ટ ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.
 
કન્યાકુમારી એ તામિલનાડુમાં ભારતના સૌથી દક્ષિણ છેડે આવેલું સમુદ્રતટીય નગર છે અને તે સુપ્રસિદ્ધ પ્રવાસનસ્થળ પણ છે. આ નવી શાખા 1,00,000 જેટલા ગ્રાહકોને શ્રેણીમાં શ્રેષ્ઠ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડશે. તેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, રીટેઇલરો, ટ્રેડરો, એનઆરઆઈ, સરકારી વિભાગો, ખાનગી સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે. આથી વિશેષ, તે ભારતના બેંકિંગ સેવાઓથી વંચિત કે અપૂરતી બેંકિંગ સેવાઓ ધરાવતા લોકોને પણ બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.
 
તામિલનાડુમાં એચડીએફસી બેંકની યાત્રાની શરૂઆત વર્ષ 1995માં થઈ હતી, કારણ કે, આ સાલમાં ચેન્નઈ-આઇટીસી સેન્ટર ખાતે બેંકની પ્રથમ શાખા ખોલવામાં આવી હતી. ત્યારથી બેંક તેની શાખાઓ અને વિવિધ ડિજિટલ બેંકિંગ પહેલના સંયોજન મારફતે તામિલનાડુમાં તેની ઉપસ્થિતિને સતત વિસ્તારતી રહી છે. હાલમાં એચડીએફસી બેંક તામિલનાડુના 39 જિલ્લાઓમાં આવેલા 180 શહેરો/નગરોમાં 476 શાખાઓ ધરાવે છે.
 
એચડીએફસી બેંકે રાજ્યમાં આવેલી 24 સરકારી શાળાઓને સ્માર્ટ સ્કુલમાં અપગ્રેડ કરવાની પોતાની યોજનાની જાહેરાત કર્યાના તરત બાદ આ નવી શાખા ખોલવામાં આવી છે. તેનાથી રાજ્યમાં અંદાજે 22,000 વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય તેવી અપેક્ષા છે, કારણ કે, તેઓ હવે પ્રાયોગિક શિક્ષણનો લાભ મેળવી શકશે. આ પ્રકારની પાંચ શાળાઓને પહેલેથી જ મદુરાઈમાં લૉન્ચ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર