ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને બહેન નયના જાડેજા વચ્ચે જંગ જામશે?

રવિવાર, 6 નવેમ્બર 2022 (15:19 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો બાદ હવે ટિકિટ માટે લોબિંગ શરૂ થયું છે. જોકે સૌરાષ્ટ્રમાં જામનગરની ઉત્તર બેઠક સૌથી વધુ ચર્ચાનું કારણ બની શકે છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે જંગ જામી શકે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં છે. તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં ભાજપમાં જોડાયા હતા. તો વળી રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા એક મહિના પછી એપ્રિલ, 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી નૈના રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે અને જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પાર્ટી આ વખતે તેમને મેદાનમાં ઉતારી શકે છે. નયના જાડેજા કોંગ્રેસમાં જોડાયા ત્યારથી સતત સક્રિય છે.જામનગર ઉત્તરની આ બેઠક પર ભાજપનો કબજો છે અને અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ 2017માં તેઓ પક્ષ બદલીને ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. 2012માં ધર્મેન્દ્ર સિંહે ભાજપને હરાવ્યું હતું. ધર્મેન્દ્ર સિંહને આશા છે કે તેમને ફરીથી ટિકિટ મળશે, પરંતુ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની અપીલે છેલ્લા બે દિવસમાં તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. જેથી ટિકિટ ન મળવાના સંજોગોમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જવાની અટકળો હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી કરસનભાઈ કરમુરને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં જો ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટીકીટ કપાય છે તો તેમણે ઘરે બેસી રહેવું પડશે અથવા અપક્ષ તરીકે લડવું પડશે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઘણા સમયથી ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે ત્યાં સુધી તેમનો ટિકિટ ના મળે તેવી સ્થિતિ બની છે. જો ભાજપ ધર્મેન્દ્ર સિંહની ટિકિટ કાપે છે તો રિવાબાનો નંબર લઈ શકાય છે. ક્રિકેટરની પત્ની અને પહેલેથી જ ભાજપમાં સક્રિય હોવાના કારણે તેમને ટિકિટ મળી શકે છે. રીવાબા રાજકોટના છે, તેના પિતા મોટા ઉદ્યોગપતિ છે. જેના કારણે રિવાબા વર્ષોથી સામાજિક કાર્યમાં સક્રિય છે.જામનગર ઉત્તરમાં બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસ વેઈટ એન્ડ વોચના મૂડમાં છે. જો ભાજપ રિવાબાને ટિકિટ આપે તો કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજાને મેદાનમાં ઉતારી શકે છે. મહત્વનું છે કે, નયના જાડેજા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ છે અને પાર્ટીમાં ખૂબ જ સક્રિય છે. નયના જાડેજા રાજકોટમાં આવેલી હોટલની માલિક છે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મુશ્કેલીમાં મુકાઈ જશે, તેમણે ચૂંટણી જંગમાં કોનો પ્રચાર કરવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર